Home Bibles અયૂબ 21 · ગુજરાતી બાઇબલ ||

અયૂબ

Chapter 21

ગુજરાતી બાઇબલ
1પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું: 2“હું જે કહું તે ધ્યાનથી સાંભળો અને મને એટલો તો દિલાસો આપો. 3મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી કરજો. પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખો. 4શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં? 5મારી દશા તો જુઓ! અને આઘાત પામજો મહેરબાની કરીને તમારા મોઢા પર તમારો હાથ મૂકી અને ઢાંકી દેશો. 6હું યાદ કરું છું ત્યારે ગભરાઇ જાઉં છું. હું ભયથી જી ઊઠું છું. 7શા માટે દુષ્ટ માણસો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે? 8દુષ્ટ લોકો તેમના સંતાનોને મોટાં થતા જુએ છે. દુષ્ટ લોકો પોતાના પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે. 9એમનાં ઘર સુરક્ષિત હોય છે, તેઓ ડરતા નથી તેઓને સજા આપવા માટે દેવ લાકડીનો ઊપયોગ કરતા નથી. 10તેઓના બળદો જાતીય સંબધ બાંધવામાં કદી નિષ્ફળ જતા નથી. તેઓની ગાયો વાછરડાંઓને જન્મ આપે છે અને વાછરડાંઓ મરેલા જન્મતા નથી. 11દુષ્ટ લોકો તેઓના સંતાનોને ઘેટાંના બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓના સંતાનો આસપાસ નાચે છે. 12તેઓ નાચગાનમાં પોતાનો સમય પસાર કરે છે, તેઓ વાંસળી, સારંગી અને ખંજરીના તાલે ગાય છે અને ઝૂમે છે. 13દુષ્ટ લોકો તેઓના જીવન દરમ્યાન સફળ થવાનો આનંદ માણે છે. ત્યાર પછી તેઓ મૃત્યુ પામે છે અને પીડા વગર તેઓની કબરમાં જાય છે. 14તો પણ દુષ્ટ લોકો દેવને કહે છે, ‘અમને એકલા મૂકી દો’ તમે અમારી પાસે શું કરાવવા માગો છો તેની અમને ચિંતા નથી. 15તેઓ કહે છે, ‘સર્વસમર્થ દેવ કોણ છે? અમારે તેમની સેવા શા માટે કરવી જોઇએ? શું એમને પ્રાર્થના કરીને કાઇ નહિ વળે?’ 16એ સાચું છે કે દુષ્ટ લોકો પોતાની જાતે સફળ થયા નથી. હું તેઓની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી. 17પણ કેટલીવાર દેવ અવારનવાર દુષ્ટ લોકોનો દીવો ફૂંક મારીને ઓલવે છે? કેટલીવાર દુષ્ટ લોકોને સમસ્યાઓ હોય છે? 18આપણે એને કેટલીવાર હવામાં ખરસલાંની જેમ ઊડી જતો જોયો છે? વંટોળિયામાં ફોતરાઁની જેમ ફૂકાંઇ જતો જોયો છે? 19તમે કહેશો, ‘દેવ તેઓના પાપની સજા તેઓના સંતાનોને કરે છે.’ પણ દેવ જો તેઓને સજા કરે, તોજ તેઓને જાણ થશે કે તેઓ તેઓના પોતાના પાપોને લીધેજ સજા ભોગવી રહ્યાં છે! 20પાપીને પોતાની સજા જોવા દો. તેને સર્વસમર્થ દેવનો ક્રોધ અનુભવવા દો. 21જ્યારે દુષ્ટ માણસના જીવનનો અંત આવે છે, અને તે મરી જાય છે, તે તેની પાછળ રહેલા કુટુંબની ચિંતા કરતો નથી. 22માણસ શું દેવને પાઠ ભણાવી શકશે? દેવ ઉચ્ચ સ્થાનના લોકોનો પણ અભિપ્રાય બાંધે છે. 23કોઇ માણસ મરી જાય છે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે તથા સુખચેનમાં રહે છે. 24તેના શરીરને સારું પોષણ મળ્યું હતું અને તેના હાડકાં હજીપણ મજબૂત હતા. 25પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી. 26પણ માટીમાં તો એ બંને એક સાથે મળી જાય છે અને જીવડાં તેઓ બંને ઉપર પથરાઇ જાય છે અને તેમને ઢાંકી દે છે. 27જુઓ, તમારા વિચારો હું જાણું છું અને હું જાણું છું તમે મને દુ:ખ પહોચાડવા માગો છો. 28તમે કહો છો, ‘એ મહાશયનું ઘર ક્યાં છે? એ દુષ્ટ માણસ વસતો હતો તે જગા ક્યાં છે?’ 29શું તમે રસ્તે જનારાઓને પૂછયું? તમે ખાત્રીપૂર્વક તેઓની વાતો માનશો? 30ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે. દેવના કોપમાંથી દુષ્ટ ઊગરી જાય છે. 31તેણે જે દુષ્કમોર્ કર્યા તે માટે તેને કોઇ જાહેરમાં ઠપકો આપી શકતું નથી. તેણે જે કર્યુ છે તે માટે તેને સજા આપનાર કોઇ નથી. 32ઊલટું તેની કબરનુ રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેને માન અપાય છે. 33એની કબરમાં માટી પણ એની આસપાસ નરમાશથી પથરાઇ જાય છે. એની આગળ અને પાછળ મોટી મેદની હોય છે. 34અને તમે! શા માટે મને ખોટા આશ્વાસન આપો છો? તમારા એક એક જવાબ સદંતર જૂઠા છે.”

Choose Theme