Home એઝરા 3 · ગુજરાતી બાઇબલ

એઝરા

Chapter 3

ગુજરાતી બાઇબલ
1ઇસ્રાએલના પુત્રો પોતાનાં નગરોમાં વસ્યા પછી, સાતમો માસ આવ્યો ત્યારે તેઓ બધા એક દિલથી યરૂશાલેમમાં ભેગા થયા.
2યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેના યાજકો સાથે તથા શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ અને તેના સાથીઓએ ઇસ્રાએલના દેવની વેદી ફરીથી બાંધી, જેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેની પર દહનાર્પણો ચઢાવી શકાય.
3આજુબાજુના બીજા લોકોનો ડર હોવા છતાં તેમણે પહેલાંને સ્થાને જ વેદી ઊભી કરી અને તેના પર સવાર સાંજ યહોવાને દહનાર્પણો આપવાનું શરૂ કર્યુ.
4તેઓએ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવાપર્વ ઊજવ્યો અને નિયમ પ્રમાણે દરરોજ જોઇતા પ્રમાણમાં દહનાર્પણો ચઢાવ્યા.
5એના પછી લોકોએ નિત્યનાં દહનાર્પણો, ચંદ્રદર્શનના દિવસની ઉજવણીના અર્પણો તથા બીજાં વાષિર્ક પવોર્ની ઉજવણીનાં અર્પણો ચઢાવ્યા જે યહોવાને માટે પવિત્ર હતા એ લોકોએ ઉપહાર પણ અર્પણ કર્યા.
6તેઓએ સાતમા મહિનાના પ્રથમ દિવસથી યહોવાને દહનાર્પણો ચઢાવવાનું શરૂ કર્યુ; પરંતુ યહોવાના મંદિરનો પાયો હજી નંખાયો ન હતો.
7તેમણે કડિયાઓને અને સુથારોને પૈસા આપ્યા અને સિદોન અને તૂરના લોકોને ખોરાક પાણી અને તેલ મોકલ્યાં, જેથી તેઓ લબાનોનથી સમુદ્રમાગેર્ યાફા સુધી દેવદારનું લાકડું લઇ આવે. ઇરાનના રાજા કોરેશે એ માટે પરવાનગી આપી હતી.
8બીજા વર્ષના બીજા મહિનામાં યરૂશાલેમમાં દેવના મંદિરમાં પહોચ્યા પછી, શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલે અને યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેમના બીજા જાતભાઇઓની મદદ વડે, યાજકો લેવીઓ અને દેશવટેથી યરૂશાલેમ પાછા ફરેલા બાકીના બધા લોકોની મદદથી મંદિરનું ખરેખરું બાંધકામ શરૂ કર્યુ. તેમણે વીસ વર્ષના અને તેથી મોટા લેવીઓને યહોવાના મંદિરનાં બાંધકામની દેખરેખ રાખવા નીમ્યા.
9આ સમગ્ર યોજના પર દેખરેખ રાખવાનું કામ યેશૂઆ, કાદમીએલ અને તેના પુત્રો, હેનાદાદ અને તેઓના પુત્રો તથા સબંધીઓને સોંપવામા આવ્યું. તેઓ સર્વ લેવીઓ હતા.
10જ્યારે યહોવાના મંદિરનો પાયો નાખવાનું કામ પૂરું થયું ત્યારે, યહોવાની સ્તુતિ કરવા માટે તેઓએ ઇસ્રાએલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને રણશિંગડા સાથે તથા લેવીઓને તેમના હાથમાં ઝાંઝની જોડી આપીને ઊભા રાખ્યા.
11તેઓએ યહોવાની સ્તુતિ અને આભાર ગીત ગાયાં; “દેવ ભલા છે અને તેમનો પ્રેમ તથા દયા ઇસ્રાએલીઓ પર સદાકાળ રહેશે.” ત્યારે બધા લોકો ઊંચે સાદે યહોવાની સ્તુતિ કરવા લાગ્યા, કારણ; યહોવાના મંદિરનો પાયો નંખાઇ ચૂક્યો હતો.
12ઘણા યાજકો, લેવીઓ અને કુટુંબના આગેવાનો અને વડીલો, જેમણે પહેલાનું મૂળ મંદિર જોયું હતું તેઓ પોતાની નજર સામે પાયો નંખાતો જોઇને રડી પડ્યા, પણ બીજા ઘણા લોકો મોટે સાદે હર્ષના પોકારો કરતા હતા.
13તેથી લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના છે તે પારખી શકાતા નહોતા, કારણકે લોકો દૂર સુધી સંભળાય એટલે મોટે અવાજે પોકારો કરતા હતા.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme