માર્ક
Chapter 13
ગુજરાતી બાઇબલ1ઈસુ મંદિરમાંથી વિદાય લેતો હતો તેના શિષ્યોમાંના એકે કહ્યું, ‘જો, ઉપદેશક! આ મંદિરમાં ઘણા આકર્ષક મકાનો અને ઘણા મોટા પથ્થરો છે.’
2ઈસુએ કહ્યું, ‘તમે આ મોટાં બાંધકામો જુઓ છો? આ બધાં બાંધકામોનો વિનાશ થશે. દરેક પથ્થર જમીન પર ફેંકવામાં આવશે. એક પણ પથ્થર ત્યાં રહેવા દેવામાં આવશે નહિ.’
3પાછળથી, ઈસુ જૈતૂનના પહાડ પર એક જગ્યાએ બેઠો હતો. તે પિતર, યાકૂબ, યોહાન તથા આંન્દ્રિયા સાથે એકલો હતો. તેઓ બધા મંદિરને જોઈ શક્યા. પેલા શિષ્યોએ ઈસુને પૂછયું.
4‘અમને કહે, આ ક્યારે બનશે? અને આ સમય બનવા માટેનો છે તે બાબતે અમને કઈ નિશાની બતાવશે?’
5ઈસુએ શિષ્યોને કહ્યું, ‘સાવધાન રહો! કોઈ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે.
6ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કહેશે, ‘હું એ છું’ અને તેઓ ઘણા લોકોને છેતરશે.
7તમે યુદ્ધો વિષે સાંભળશો અને યુદ્ધોની અફવાઓ વિષે સાંભળશો. પણ ગભરાશો નહિ. આ વસ્તુઓ તેનો અંત થતા પહેલા થશે.
8રાજ્યો બીજા રાજ્યો સામે લડશે. એવો સમય આવશે જ્યારે લોકોને માટે ખાવાનું પણ નહિ હોય. અને ત્યાં જુદા જુદા સ્થળોએ ધરતીકંપ થશે. મહા દુ:ખનો આ તો આરંભ છે. બાળક જન્મતા પહેલા થતી પીડાઓ જેવી આ વસ્તુઓ છે.
9‘પોતા વિષે સાવધાન રહેવું જોઈએ. લોકો તમને પકડશે અને તમને ન્યાય માટે લઈ જશે. તેઓ તમને તેમના સભાસ્થાનમાં મારશે. તમને રાજ્યપાલ અને રાજાઓ સામે ઊભા રાખવામાં આવશે. તમે તેઓને મારા વિષે કહેશો. આ તમારા જીવનમાં બનશે કારણ કે તમે મને અનુસરો છો.
10આ વસ્તુઓ બને તે પહેલા બધા લોકોને સુવાર્તા પહોંચવી જોઈએ.
11તમને પકડવામાં આવશે અને ન્યાય થશે. પરંતુ તમારે શું કહેવું જોઈએ તેની ચિંતા અગાઉથી ના કરશો. તે સમયે દેવ તમને જે આપે તે કહેશો. તે વખતે ખરેખર તમે બોલશો નહિ પણ તે પવિત્ર આત્મા બોલનાર છે.
12‘ભાઈઓ પોતાના ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. પિતા પોતાના બાળકોની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. બાળકો તેમના માતાપિતાની વિરૂદ્ધ થશે અને તેમના માબાપને મારી નંખાવવાના રસ્તા શોધશે.
13બધા લોકો તમને ધિક્કારશે. કારણ કે તમે મને અનુસરો છો. પણ જે વ્યક્તિ અંત સુધી ટકશે તેનું તારણ થશે.
14‘જેનાં કારણે વિનાશ થશે એવી ભયંકર વસ્તુ તમે જોશો. જ્યાં તેને ન હોવું જોઈએ, તે જગ્યાએ તે ઊભી રહેલી હશે.’ (જે આ વાંચે છે તેમણે સમજવું.) ‘તે સમયે, યહૂદિયામાંથી લોકોએ પહાડો તરફ નાસી જવું જોઈએ.
15કોઈ પણ વસ્તુ માટે રોકાયા વિના સમય બગાડ્યા વિના લોકોએ ભાગી જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તેના ઘરના છાપરા ઉપર હોય તો તેણે તેના ઘરમાંથી કઈ પણ લેવા સારું નીચે જવું જોઈએ નહિ.
16જો કોઈ વ્યક્તિ ખેતરમાં હોય તો તેણે તેનો ડગલો લેવા પાછા જવું ન જોઈએ.
17“તે સમયે સ્ત્રીઓ જે ગર્ભવતી છે અથવા જેને ધાવણાં બાળકો છે, તેઓ માટે ઘણું ખરાબ હશે.
18અને (તમારું નાસવુ) શિયાળામાં ન થાય તે માટે પ્રાર્થના કરો.
19શા માટે? કારણ કે તે દિવસો દરમ્યાન ઘણી મુશ્કેલીઓ હશે. શરૂઆતમાં દેવે જ્યારે આ જગત બનાવ્યું ત્યારે જે કંઈ બન્યું હતું તેના કરતા વધારે મુશ્કેલીઓ ઊભી થશે અને આવી મુશ્કેલીઓ ફરીથી ક્યરેય બનશે નહિ.
20તે ભયંકર સમયને ટૂંકો કરવાનો નિર્ણય દેવે કર્યો છે. જો તે સમયને ટૂંકો કરવામાં ન આવ્યો હોત તો પછી કોઈ વ્યક્તિ જીવતી રહી શકી ના હોત. પણ દેવે તેણે પસંદ કરેલા તેના ખાસ લોકોને માટે તે સમય ટૂંકો કર્યો છો.
21“તે સમયે કેટલીક વ્યક્તિઓ તમને કહેશે, ‘જુઓ, અહીં ખ્રિસ્ત છે! અથવા બીજી એક વ્યક્તિ કહેશે, તે ત્યાં છે! પણ તેમનું માનશો નહિ.
22જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદભૂત ચમત્કારો કરશે. તેઓ આ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે, જો શક્ય હશે તો તેઓ આ કામો કરીને તેના લોકોને છેતરવાનો પ્રયત્ન કરશે.
23તેથી સાવધાન રહો, હવે મેં તમને આ બધું બનતા પહેલા તે વિષે ચેતવણી આપી છે.’
24“તે દિવસો દરમ્યાન આ વિપત્તિઓ પછી, ‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ.’
25આકાશના તારાઓ ખરવા લાગશે, અને આકાશના પરાક્રમો હલાવાશે.”‘ યશાયા13:10; 34:4
26“પછી લોકો માણસના પુત્રને ઘણાં પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે.
27માણસનો પુત્ર પૃથ્વીની ચારેબાજુ તેના દૂતોને મોકલશે. દૂતો પૃથ્વી પરના દરેક ભાગોમાંથી તેના પસંદ કરેવા લોકોને ભેગા કરશે.’
28“અંજીરીનું વૃક્ષ આપણને એક બોધપાઠ શીખવે છે. જ્યારે અંજીરીના વૃક્ષની ડાળીઓ લીલી અને નરમ બને છે અને નવા પાંદડાં ઊગવાની શરુંઆત થાય છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે.
29આ વસ્તુઓ સાથે એવું જ છે જે મેં તમને કહ્યું તે બનશે જ. જ્યારે તમે આ બધું બનતું જોશો, ત્યારે તમે જાણશો કે તે સમયનજીક છે.
30હું તમને સત્ય કહું. જ્યારે આ સમયના લોકો જીવતા હશે ત્યારે જ આ બધી વસ્તુઓ બનશે.
31આખી પૃથ્વી અને આકાશનો વિનાશ થશે. પણ જે વાતો મેં કહી છે તે કદાપિ નાશ પામશે નહિ.”
32“કોઈ વ્યક્તિ જાણતી નથી કે કયા દિવસે કયા સમયે તે થશે. તે પુત્ર અને આકાશના દૂતો પણ તે જાણતા નથી. ફક્ત પિતા જ જાણે છે.
33સાવધાન રહો! હંમેશા તૈયાર રહો! તમને ખબર નથી તે સમય ક્યારે આવશે.
34“એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે. તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે. તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે. તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે. હમણા હું તમને કહું છું તે એ જ છે.
35તેથી તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ, તમે જાણતા નથી, ઘરનો ધણી સાંજે, મધરાતે કે વહેલી સવારે કે જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે કદાચ આવે.
36રખેને તે ધણી એકાએક પાછો ઝડપથી પણ આવે. જો તમે હંમેશા તૈયાર રહો તો પછી તે તમને ઊંઘતા જોશે નહિ.
37હું તમને આ કહું છું, અને હું આ પ્રત્યેક વ્યક્તિને કહું છું: ‘તૈયાર રહો!”‘
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.