તેઓ જે દેશોમાં વિખેરાઇ ગયા છે ત્યાંથી હું તેઓને એકઠા કરીશ અને તેઓને ફરીથી ઇસ્રાએલનું વતન આપીશ.
Cross references
તમાંરા દેવ યહોવા તમાંરા પર દયાદૃષ્ટિ કરીને તમાંરું ભાગ્ય ફેરવી નાખશે, અને તમને જે બધા દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હશે ત્યાંથી ફરી પાછા ભેગા કરશે.
તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે;
વળી તમારા સર્વ લોકો ધામિર્ક થશે. તેઓ સદાકાળ પોતાના દેશનું વતન પામશે, કારણ કે હું મારા પોતાના હાથે તેઓને ત્યાં સ્થાપીશ; અને એમ મારો મહિમા થશે.
તેથી જા અને ઉત્તર દિશામાં, આ શબ્દો જાહેર કરીને કહે, અવિશ્વાસુ ઇસ્રાએલને ‘મારી પાસે પાછા આવવા માટે કહે.’ એવું યહોવા કહે છે. ‘હવે હું તેમની પર મારા ભવા નહિ ચઢાવું કે તારી સામે ક્રોધે ભરાઇને નહિ જોઉ, કેમકે હું દયાળુ છું’ એવું યહોવા કહે છે. ‘હું હંમેશના માટે ક્રોધે નહી ભરાઉં.
તે વખતે યહૂદિયાના લોકો ઇસ્રાએલના લોકો સાથે જોડાઇ જશે, અને તે બંને ભેગા મળીને ઉત્તરનાં દેશમાંથી નીકળી જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના તરીકે આપી હતી તેમાં પાછા આવશે.”
આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે. “યહૂદિયામાંથી જે લોકો દેશવટે ગયા છે. જેમને મેં અહીંથી બાબિલમાં દેશવટે મોકલી આપ્યા છે તેમને હું આ સારાં અંજીર જેવા સારા માનું છું.
હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.
સત્ય તો આ છે: “તમે 70 વર્ષ બાબિલમાં રહેશો, પરંતુ ત્યાર પછી હું યહોવા આવીશ અને મેં આપેલા વચન પ્રમાણે સર્વ સારી બાબતો હું તમારે માટે કરીશ અને તમને ફરીથી યરૂશાલેમમાં પાછા લાવીશ.
“અને તમે, યાકૂબના વંશજો, મારા સેવકો ગભરાશો નહિ. રે ઇસ્રાએલીઓ, તમારે ભય રાખવાની જરૂર નથી. હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ, અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો, કોઇ તમને ડરાવશે નહિ,
યહોવા કહે છે, “જ્યારે યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેમની ભૂમિ તેમને પાછી અપાશે અને પ્રત્યેક કુટુંબ પર કરૂણા દર્શાવાશે; યરૂશાલેમને પોતાના ખંઢેર પર ફરી બાંધવામાં આવશે અને કિલ્લાને તેના યોગ્ય સ્થાને ઊભો કરવામાં આવશે.
હું તેઓને ઉત્તરમાંથી લાવીશ, ને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. હું તેઓનાં અંધજનોને અને લંગડાઓને, ગર્ભવતી તથા નાનાં બાળકોવાળી સ્ત્રીઓને રઝળતા નહિ મૂકું. તેઓ એક મોટા સમુદાયની જેમ અહીં પાછા ફરશે.
‘મારા પુણ્યપ્રકોપ અને ભયંકર રોષને લીધે એ લોકોને મેં જે જે દેશોમાં વેરવિખેર કરી નાખેલા છે, ત્યાંથી એમને પાછા એકત્ર કરીશ, આ જગ્યાએ પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ.
તમે જે પ્રજાઓમાં વિખેરાઇ ગયા છો ત્યાંથી હું તમને મારા ક્રોધથી અને મારા પરાક્રમથી મારા સમર્થ ભુજ વડે બહાર લાવી એકત્ર કરીશ.
તમે જે દેશોમાં વિખેરાઇ ગયા હતા ત્યાંથી હું તમને એકઠા કરીશ ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ અને સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઇશ.
આ યહોવા મારા માલિકના વચન છે: “ઇસ્રાએલીઓને મેં જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખી છે, તે બધામાંથી હું તેમને પાછા લાવી એકત્ર કરીશ અને ત્યારે બધી પ્રજાઓને ખબર પડશે કે હું પવિત્ર છું. ઇસ્રાએલના લોકો, મેં મારા સેવક યાકૂબને આપેલી તેમની પોતાની ભૂમિમાં વસશે.
જ્યાં તેઓ વિખેરાઇ ગયા છે તે દેશમાંથી અને પ્રજાઓમાંથી હું તેઓને પાછા લાવીશ અને તેઓને પોતાના દેશ ઇસ્રાએલમાં ઘરે પાછા લાવીશ. ઇસ્રાએલના પર્વતો પર નદીના કાંઠે તથા ફળદ્રુપ જગ્યાઓમાં હું તેઓનું પોષણ કરીશ.
દેવ કહે છે, “હું તમને બધાને પરદેશોમાંથી બહાર કાઢી એકત્ર કરીને તમારી પોતાની ભૂમિમાં પાછા લાવીશ.
‘ઇસ્રાએલીઓ બીજી પ્રજાઓમાં ચાલ્યા ગયા છે તેમને હું ત્યાંથી લઇ આવીશ, ઠેકઠેકાણેથી એકત્ર કરીને તેમને પોતાની ભૂમિમાં પાછા વસાવીશ.
હું તેઓને પોતાના શત્રુઓના દેશમાંથી ઘેર પાછા લાવીશ. હું તેમ કરીશ ત્યારે મારો મહિમા સર્વ પ્રજાઓ સમક્ષ દ્રશ્યમાન બનશે. તેમના મારફતે હું બીજી પ્રજાઓ સમક્ષ પવિત્ર મનાઇશ.
છતાંય ઇસ્રાએલ પુત્રોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાય કે, ન તો ગણી શકાય. તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, “તમે દેવની પ્રજા નથી”, તેને બદલે “તમે જીવતા જાગતા દેવના દીકરાઓ છો.” એમ તેમને કહેવામાં આવશે.
હું મારા ઇસ્રાએલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ. તેઓ તારાજ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.”
જુઓ, સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ;