યહોવા કહે છે, “જ્યારે યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેમની ભૂમિ તેમને પાછી અપાશે અને પ્રત્યેક કુટુંબ પર કરૂણા દર્શાવાશે; યરૂશાલેમને પોતાના ખંઢેર પર ફરી બાંધવામાં આવશે અને કિલ્લાને તેના યોગ્ય સ્થાને ઊભો કરવામાં આવશે.
Cross references
ત્યારબાદ રાજા દાઉદે સમગ્ર સભાને ઉદૃેશીને કહ્યું, “દેવે મારા પુત્ર સુલેમાનને એકલાને જ પસંદ કર્યો છે, પણ તે હજી નાદાન છોકરો છે અને કામ મોટું છે, કારણકે, આ મંદિર માણસ માટે નથી પણ દેવ યહોવા માટે છે.
મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમપિર્ત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું નિષ્ઠાપૂર્વક અનુસરણ કરે, અને જેને માટે મેં આ બધી તૈયારી કરી છે તે મંદિર બાંધે.”
“રાજા કોરેશે પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમ્યાન યરૂશાલેમમાં આવેલા દેવના મંદિરના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો, લોકોનું યજ્ઞો અર્પણ કરવાનું જે સ્થાન છે એ સ્થાન પર મંદિર ફરી બાંધવું. તેના પાયાઓ જાળવી રાખવા એની ઊંચાઇ 90 ફુટ અને પહોળાઇ 90 ફુટ રાખવી.
મુખ્ય યાજક એલ્યાશીબે ઘેટાં દરવાજાનું નવેસરથી બાંધકામ ચાલું કર્યુ, પછી તેણે તેની પ્રતિષ્ઠા કરી અને પછી તેનાં બારણાં ચઢાવ્યાં; તેઓએ છેક હામ્મેઆહના ગુંબજ સુધી અને ત્યાંથી છેક હનાનએલના ગુંબજ સુધી દીવાલને પવિત્ર બનાવી.
શહેરનો વિસ્તાર ખૂબ મોટો હતો; પણ વસ્તી ઓછી હતી અને વધારે ઘરો બંધાયાઁ નહોતાઁ.
ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો. તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે, અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
પણ મારા સેવકોનાં વચનને હું સાચાં ઠરાવું છું. અને મારા સંદેશાવાહકો મારફતે પ્રગટકરેલા ઉદ્દેશો પાર પાડું છું. યરૂશાલેમને હું કહું છું, “તારે ત્યાં ફરી વસ્તી થશે,” “યહૂદાના શહેરોને હું કહું છું,” તમે ફરી બંધાશો, તમારાં ખંડેરો હું ફરી ઉભા કરીશ.
હું કોરેશને કહું છું, “તું તો મારો મોકલેલો પ્રજાનો પાલક છે, અને તું મારા બધા મનોરથો પૂર્ણ કરશે; અને તું યરૂશાલેમને ફરી બાંધવાનો અને મંદિરનો પાયો નાખવાનો આદેશ આપશે.”
“પરંતુ મારા લોકોમાંના બચેલાઓને હું જાતે જે દેશોમાં મેં તેમને હાંકી કાઢયા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેમના વાડામાં પાછા લાવીશ. ત્યાં તેઓનો વંશવેલો ફૂલશે-ફાલશે અને વૃદ્ધિ પામશે.
યહોવા કહે છે, “હા, હું તમને જરૂર મળીશ અને તમારી ગુલામીનો અંત લાવીશ અને તમારી સમૃદ્ધિ તમને પાછી આપીશ, અને જે જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે, ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ; જ્યાંથી મેં તમને દેશવટે મોકલ્યા હતાં ત્યાંથી હું તમને પાછા લાવીશ.” આ હું યહોવા બોલું છું.
કારણ કે ધ્યાનથી સાંભળ, તે દિવસ આવી રહ્યો છે કે, જ્યારે હું મારા લોકોના ઇસ્રાએલના અને યહૂદિયાના લોકોની સમૃદ્ધિને ફરીથી સ્થાપીશ, તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી, એમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનો કબ્જો મેળવશે અને ફરીથી ત્યાં વસવાનું શરૂ કરશે.”
હું તને ફરીથી પર ઉઠાવીશ અને તું પાછી ઊભી થશે. ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી શણગારાઇશ અને આનંદથી નાચવા લાગીશ.
આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “હું યહૂદિયાં અને તેના નગરોનું ભાગ્ય ફેરવી નાખીશ અને તેથી તેઓ ફરીથી આ વચનો ઉચ્ચારશે કે, ‘નીતિવંતોનું રહેઠાણ એવો પવિત્રપર્વત, યહોવા તમને આશીર્વાદિત કરો!’
યહોવા કહે છે, “સમય આવી રહ્યો છે કે જ્યારે યરૂશાલેમ મારા નગર તરીકે હનામએલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે.
કિદ્રોનથી ઠેઠ ઘોડાના દરવાજા સુધી, સમગ્ર ખીણ અને દરેકે દરેક ખેતરને આ શહેરમાં સામેલ કરવામાં આવશે. જે યહોવા માટે પવિત્ર છે. અને આને ફરીથી કયારેય ઉખેડવામાં કે નાશ કરવામાં નહિ આવે.”
બિન્યામીન કુળસમૂહના પ્રદેશમાં, યરૂશાલેમની આસપાસ, યહૂદિયાના ગામોમાં, પહાડી દેશોમાં, શફેલાહની તળેટીમાં અને નેગેબમાં લોકો ખેતરો ખરીદશે, કિંમત ચૂકવશે, અને સહીસીક્કા કરીને કરારો બનાવશે, કારણ કે હું તેમનું ભાગ્ય ફેરવી તેઓને સુખ-સમૃદ્ધિ આપીશ.”
હું યહૂદિયા અને ઇસ્રાએલને ફરીથી બાંધીશ અને તેઓનું ભાગ્ય ફેરવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય આપીશ.
વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે,”સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર” લોકો આ પ્રમાણે કહેશે.કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ. આ યહોવાના વચન છે.
“હે મારા સેવક યાકૂબના વંશજો, હે ઇસ્રાએલીઓ! તમારે ડરવાની જરૂર નથી. કારણ કે, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ, અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો. કોઇ તમને ડરાવશે નહિ.”
“પરંતુ પાછળથી હું આમ્મોનીઓનું ભાગ્ય ફેરવી નાખીશ.” આ યહોવાના વચન છે.
“પણ ભવિષ્યમાં હું એલામનું ભાગ્ય ફેરવી નાખીશ. હું તે લોકોને પાછા લાવીશ.” એમ યહોવા કહે છે.
“અને તેઓ તેના કરારના શહેરમાં આનંદ પામશે, પણ તેઓએ તેમાં અણગમતી મૂર્તિઓ બનાવી છે, તેથી મે તેને તેમનાં માટે અશુદ્ધ વસ્તુ જેવી બનાવી છે.
માત્ર લોકોની વસતી જ નહિ, પણ તમારા ઢોરઢાંખર પણ અતિ ઘણાં વધારીશ. હે ઇસ્રાએલના પર્વતો ફરીથી તમે ઘરોથી ઢંકાઇ જશો. મેં અગાઉ તમારે માટે જે કર્યું છે તેથી વિશેષ હું તમારે માટે કરીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
હું આ બધા રાષ્ટોને હચમચાવી મૂકીશ, અને તેમની ધનસંપતિ અહીં આવશે અને આ મંદિરને હું ખજાનાથી ભરી દઇશ.
તેથી યહોવા કહે છે કે, “હું ફરીથી યરૂશાલેમ પર દયા દર્શાવીશ અને મારું મંદિર ત્યાં જરૂર બંધાશે, અને યરૂશાલેમમાં ત્યાં ફરી બાંધકામ શરૂ થશે.”
તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને વનમાં આગ લગાડનાર ચિંગારી સમાન અને ઘાસની ગંજીને આગ ચાંપનાર મશાલ સમાન બનાવીશ. તે જમણી અને ડાબી બાજુના પડોશી દેશોને બાળી નાખશે પણ યરૂશાલેમ અડગ રહેશે.”
યરૂશાલેમની આસપાસનો સમગ્ર પ્રદેશ ઉત્તરમાં ગેબાના મેદાનથી તે દક્ષિણમાં રિમ્મોન સુધી સપાટ મેદાન થઇ જશે, પણ યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી જ્યાં પહેલાં એક દરવાજો હતો, અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષ ગૂંદવાના કૂંડાઓ સુધી, પોતાની જગ્યાએ ઊંચું જ રહેશે.