“હવે હું તમને દેવને સોપું છું. હું તમને ઉન્નતિ કરવાને દેવની કૃપાના વચન પર આધાર રાખું છું. તે વચનો તમને વારસો આપવા સમર્થ છે જે દેવ તેના બધા લોકોને આપે છે.
Cross references
યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવા પડયો છું; પણ દેવ જરુર તારી સંભાળ લેશે, દોરશે, જેના વિષે તેણે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબની આગળ શપથ લીધાં હતા, તે દેશમાં તમને તે આ દેશમાંથી લઇ જશે.”
યહોવા કહે છે,“હે ઇસ્રાએલ, ‘મેં વિચાર્યું કે હું તને મારા પુત્ર જેવો ગણું અને તને એક રળિયામણી ભૂમિ, આખી દુનિયામાં સુંદરમાં સુંદર ભૂમિ વારસામાં આપું.’ મેં એમ માન્યું હતું કે, તું મને ‘પિતા’ કહીને બોલાવશે અને મારાથી કદી વિમુખ નહિ થાય.
એમ કહેનાર કોઇ નહિ હોય કે, “તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા, હું તેમને સંભાળીશ. તારી વિધવાઓ મારે વિશ્વાસે રહી શકે છે.”
મેં તમને જે વચનો કહ્યાં છે તેનાથી તમે હવે શુદ્ધ થઈ ગયા છો.
તારા સત્ય દ્વારા તારી સેવા માટે તૈયાર કર. તારું વચન સત્ય છે.
ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.
તેથી પાઉલ અને બાર્નાબાસ લાંબા સમય સુધી ઇકોનિયામાં રહ્યા અને તેઓ પ્રભુ વિષે આશ્ચર્યથી હિંમત રાખીને બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ દેવની કૃપા વિષે બોધ આપતા હતા. પ્રભુએ પૂરવાર કર્યુ, કે તેઓ જે કહેતા હતા તે સાચું હતું. પ્રેરિતોને (પાઉલ તથા બાર્નાબાસ) ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરવામાં તે મદદ કરતા.
પાઉલ અને બાર્નાબાસે પ્રત્યેક મંડળી માટે વડીલોને પસંદ કર્યા. તેઓએ ઉપવાસ કર્યા અને આ વડીલો માટે પ્રાર્થના કરી. આ વડીલો એ માણસો હતા, જેઓને પ્રભુ ઈસુમાં વિશ્વાસ હતો. તેથી પાઉલ અને બાર્નાબાસે તેઓને પ્રભુની સંભાળ હેઠળ રાખ્યા.
અને ત્યાંથી પાઉલ અને બાર્નાબાસ સિરિયાના અંત્યોખ તરફ હોડી હંકારી ગયા. આ એ જ શહેર છે, જ્યાં વિશ્વાસીઓએ તેઓને દેવની કૃપામાં રાખ્યા. અને આ કામ કરવા માટે તેઓને મોકલ્યા જે કાર્ય તેણે હવે પૂર્ણ કર્યુ છે.
પાઉલે તેની સાથે જવા સિલાસની પસંદગી કરી. અંત્યોખના ભાઈઓએ પાઉલને દેવની કૃપાને સોંપ્યા પછી તેને બહાર મોકલ્યો.
હું મારા પોતાના જીવનની જરા પણ ચિંતા કરતો નથી. પણ ખૂબ મહત્વની વસ્તુ એ છે કે હું મારું કામ પૂર્ણ કરું. પ્રભુ ઈસુએ મને દેવની કૃપાની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય સોંપ્યુ છે તે પણ મારે પૂર્ણ કરવું છે.
તું તે લોકોને સત્ય બતાવ. લોકો અંધકારમાંથી અજવાળામાં પાછા ફરશે. પછી તેઓ શેતાનની સત્તામાંથી પાછા ફરી દેવ તરફ પાછા ફરશે. પછી તેઓના પાપ માફ કરવામાં આવશે. જે લોકો મારામાં વિશ્વાસ રાખીને પવિત્ર થયા છે તેઓ તેમાં ભાગીદાર થશે.”‘
કરિંથમાંની દેવની મંડળી અને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર બનાવાયેલા લોકો પ્રતિ, તમે દેવના પસંદ કરાયેલા પવિત્ર લોકો છો. તમે બધી જગ્યાઓના બધા લોકો સાથે તમે પસંદ કરાયેલાં છો, કે જેને આપણા અને તેઓના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં વિશ્વાસ છે.
આપણે દેવ માટેના સહકાર્યકરો છીએ અને તમે દેવની માલિકીનું ખેતર છો. અને તમે દેવની માલિકીનું મકાન છો.
ભૂતકાળમાં, તમારામાંના કેટલાએક આવા હતા. પરંતુ તમારું શુદ્ધિકરણ કરવામાં આવ્યું, અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અને દેવના આત્મા દ્વારા દેવ સાથે ન્યાયી બનાવવામાં આવ્યા.
દેવે તેના લોકોને જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ થશે, તેની ખાતરી તે આ પવિત્ર આત્મા છે. જે લોકો દેવના છે તેઓને આના થકી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે. આ સર્વનો ધ્યેય દેવના મહિમાને માટે સ્તુતિ કરવાનો છે.
હું પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં વિશિષ્ટ સમજણનો ઉદય થાય ત્યારે દેવે આપણને પ્રદાન કરવા જે આશા માટે બોલાવ્યા છે તેને તમે ઓળખી શકશો. તમે એ પણ જાણી શકશો કે દેવે તેના પવિત્ર લોકો માટે જે આશીર્વાદનું વચન આપ્યું છે તે સમૃદ્ધ અને મહિમાવંત છે.
તમે વિશ્વાસીઓ, પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર કંડારી કાઢેલી આધારશીલા પર રચાયેલા દેવના આવાસ જેવા છો. ખ્રિસ્ત પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે.
દેવે આ દાન આપ્યો કે જેથી સેવા માટે સંતો તૈયાર થઈ શકે. તેણે ખ્રિસ્તના શરીરને વધુ શક્તિશાળી બનાવવા આ દાનો આપ્યાં.
આખું શરીર ખ્રિસ્ત ઉપર આધારિત છે. અને શરીરના પ્રત્યેક અવયવો એકબીજા સાથે સંગઠીત અને સંલગ્ન છે. દરેક અંગ પોતાનું કાર્ય કરે છે જેને કારણે આખા શરીરનો વિકાસ થાય છે અને તે પ્રેમ સાથે વધુ શક્તિશાળી બને છે.
તમારે એ વાતની ખાતરી રાખવી જોઈએ કે જે વ્યક્તિ વ્યભિચારનું પાપ કરે છે તેનું ખ્રિસ્તના રાજ્યમાં કોઈ સ્થાન નથી. જે વ્યક્તિ પોતાની જાત માટે વધુ ને વધુ લાલચો રાખે છે અને દુષ્ટ કાર્યો કરે છે અને વધારે ને વધારે ઈચ્છા રાખે છે તે જૂઠા દેવને ભજ્વા જેવું છે.
અને (દેવ) બાપની આભારસ્તુતિ કરો. જે વસ્તુઓ તેણે તમારા માટે તૈયાર કરી છે, તેને પામવા માટે તેણે જ તમને યોગ્ય બનાવ્યા છે. તેણે આ વસ્તુઓ તેના બધા જ લોકો માટે બનાવી છે, કે જે લોકો પ્રકાશમાં (સારું) જીવે છે.
તમારે ફક્ત ખ્રિસ્ત પર જ આધારિત રહેવું. જીવન અને સાર્મથ્ય તેના તરફથી આવે છે, તમને સત્ય શીખવવામાં આવ્યુ છે. તમારે તે સત્ય ઉપદેશ અંગે દ્રઢ રહેવાનું ચાલુ જ રાખવું જોઈએ. અને હંમેશા આભારસ્તુતિ કરવી જોઈએ.
યાદ રાખો કે પ્રભુ તરફથી તમને બદલો મળવાનો છે. તે તમને, તેણે જે તેના લોકોને વચન આપેલું તે પ્રદાન કરશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરી રહ્યા છો.
જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી.
તેથી દેવ પાસેથી ઈસુ નવો કરારલોકો પાસે લાવ્યો. ખ્રિસ્ત નવો કરાર એવા લોકો માટે લાવ્યો કે જેઓને તેડવામાં આવ્યા છે અને જે ઉત્તરાધિકારીનો આશીર્વાદ મેળવે. દેવે આપેલાં વચન પ્રમાણે અનંતકાળનો વારસો પામે. કારણ કે પ્રથમ કરારપ્રમાણે લોકોથી થયેલ પાપમાંથી લોકોને ઉદ્ધાર અપાવવા ખ્રિસ્ત મરણ પામ્યો.
જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને ખ્રિસ્તે પોતાના એક જ બલિદાનથી બધા જ સમય માટે પરિપૂર્ણ કર્યા.
તમે દરેક જાતના વિચિત્ર ઉપદેશથી ભરમાઈ જશો નહિ. જે તમને અવળા માર્ગે દોરી જાય, સાચી વસ્તુ એ છે કે દેવની કૃપાથી જ તમારા હ્રદયને બળવાન બનાવવું. ખોરાક વિષેના નિયમો પાળવાથી એ મળતું નથી. આ નિયમો પાળનારને કશો જ ફાયદો થતો નથી.
હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે. તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે. આ આશીર્વાદો અવિનાશી છે. તેને નષ્ટ ન કરી શકાય. તે તેમની સુંદરતા ગુમાવતા નથી.
દેવનું નિમંત્રણ પામેલા જે કોઇ ઈસુ ખ્રિસ્તની સુરક્ષા માટે રાખવામાં આવ્યા હોય તે સર્વ વિશ્વાસીઓ અને તેડવામાં આવેલાઓ જોગ લખિતંગ, ઈસુ ખ્રિસ્તનો સેવક. યાકૂબનો ભાઈ યહૂદા. તમારા પર કૃપા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ.
પણ પ્રિય મિત્રો, તમે તમારું જીવન પવિત્ર વિશ્વાસના પાયા પર વધારે દ્રઢ બનાવો અને પવિત્ર આત્મા વડે પ્રાર્થના કરો.
તમને ઠોકર ખાતાં બચાવીને ભરપૂર આનંદથી ગૌરવ સહિત પોતાના મહિમાવંત સાન્નિધ્યમાં નિર્દોષ રજુ કરવા તે (દેવ) સમર્થ છે.